CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત: ગુજરાતમાં આગામી ૩ વર્ષમાં ૧૦,૦૦૦ નવી આંગણવાડી કેન્દ્રો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત.ગુજરાતમાં બનશે ૧૦ હજાર નવી આંગણવાડી.યશોદાથી કમ નથી આંગણવાડી બહેનો : મુખ્યમંત્રી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં ૧૦,૦૦૦ નવી આંગણવાડી કેન્દ્રો બનાવવાની મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાત તેમણે આજે ૯ હજાર આંગણવાડી કાર્યકર બહેનોને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમ દરમિયાન કરી હતી.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત હળવી શૈલીમાં કરતાં જણાવ્યું હતું કે, “આટલી બધી બહેનો બેઠી છે છતાંય એક અવાજ નથી આવતો. આ સૌથી આનંદની વાત છે. કદાચ મોબાઈલ હશે એટલે પણ શાંત બેઠા હશે. અમને ચિંતા થાય કે બહેનો કેમ આટલી બધી શાંત છે.” તેમણે નાના ભૂલકાઓના વિકાસમાં આંગણવાડી બહેનોની ભૂમિકાને બિરદાવતા કહ્યું કે, “આંગણવાડી બહેનો માતા યશોદાથી કમ નથી.” એટલે જ સરકાર આ બહેનોના સન્માન માટે ‘યશોદા એવોર્ડ‘ પણ આપે છે. આંગણવાડી કેન્દ્રોને હવે પ્રેમથી ‘નંદઘર‘ કહેવામાં આવે છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં આંગણવાડીઓની સ્થિતિ અને વિકાસ પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પહેલા આંગણવાડીઓનો અભાવ હતો અને જૂના મકાનો કે મંદિરોમાં ચાલતી હતી. આજે આખા રાજ્યમાં ૫૩ હજાર આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. સરકારનું લક્ષ્ય હવે આવનારા ત્રણ વર્ષમાં બીજા ૧૦ હજાર આંગણવાડી કેન્દ્રો બનાવીને આ સેવાનો વ્યાપ વધારવાનો છે, જેથી વધુમાં વધુ બાળકોને પોષણ અને પ્રારંભિક શિક્ષણ મળી રહે.
કાર્યક્રમમાં આજે ૯ હજાર નવી બહેનોને આંગણવાડી કાર્યકર તરીકેના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, સરકારે પારદર્શક વહીવટ ના આધારે આ નિમણૂકો કરી છે. તેમણે આંગણવાડી બહેનો તરીકે જાેડાય રહેલ તમામ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ ૧૦ હજાર નવી આંગણવાડીઓની જાહેરાત રાજ્યના લાખો બાળકોના પોષણ અને વિકાસ માટે એક મોટી પહેલ સાબિત થશે.
