હવે એક દિવસમાં જ મળી જશે ભારતના વિઝા, મુસાફરો એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે
કેન્દ્ર સરકારે વિઝા જારી કરવાને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નવા નિયમ અનુસાર, જો તમામ જરૂરી દસ્તાવેજો યોગ્ય રીતે જમા કરવામાં આવે, તો ભારતના વિઝા હવે માત્ર એક દિવસમાં મળી શકશે. આ ઉપરાંત, મુસાફરોને હવે એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ પણ મળી જશે.
એક દિવસમાં જ મળી જશે ભારતના વિઝા
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે તાજેતરમાં વિદેશી પ્રભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં વિઝા અને ઇમિગ્રેશનમાં આધુનિકીકરણ સંબંધિત નીતિઓ પર ચર્ચા કરી હતી. અધિકારીઓએ મંત્રીને વિઝા પ્રક્રિયાઓને સરળ બનાવવા માટે લેવાયેલા પગલાં વિશે માહિતી આપી હતી. આ પ્રક્રિયાના સરળતાને કારણે વિઝા જારી કરવામાં લાગતો સરેરાશ સમય હવે કેટલાક અઠવાડિયાથી ઘટીને એક દિવસથી પણ ઓછો થઈ ગયો છે.

એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ
ફાસ્ટ-ટ્રેક ઇમિગ્રેશન સંબંધિત ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી અને અમદાવાદ એરપોર્ટ પર લાગુ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ હેઠળ, પૂર્વ-ચકાસાયેલ મુસાફરો માત્ર એક મિનિટમાં ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકે છે. આ સુવિધા ટૂંક સમયમાં કોઝિકોડ, લખનઉ, તિરુવનંતપુરમ, અમૃતસર, તિરુચિરાપલ્લી, નોઇડા અને નવી મુંબઈ એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે.

બે નવા પોર્ટલ પણ લોન્ચ કર્યા
સરકારે ગેરકાયદેસર પ્રવાસીઓ અને વિઝાની અવધિ કરતાં વધુ સમય સુધી દેશમાં રહેતા વિદેશીઓની દેખરેખને મજબૂત કરવા માટે બે નવા પોર્ટલ – જિલ્લા પોલીસ મોડ્યુલ (DPM) અને વિદેશી ઓળખ પોર્ટલ (FIP) પણ શરૂ કર્યા છે. ઇમિગ્રેશન તપાસ ચોકીઓના આધુનિકીકરણના ભાગરૂપે, સ્વચાલિત મુસાફરી દસ્તાવેજ સ્કેનિંગ અને બાયોમેટ્રિક નોંધણીની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. 2014માં ઇન્ટરનેશનલ ક્રોસિંગ પોઈન્ટ્સ (ICPs) ની સંખ્યા 82 હતી, જે હવે વધીને 114 થઈ ગઈ છે.
