નેપાળ-ચીન સરહદ પર પૂરના કારણે તબાહી, 9 લોકોના મોત અને 19 ગુમ
નેપાળના રાસુવા જિલ્લામાં ચોમાસાના વરસાદથી નદીમાં પૂર આવતા ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા અને 19 અન્ય ગુમ થયા. પૂરમાં દેશને ચીન સાથે જોડતો “ફ્રેન્ડશીપ બ્રિજ” પણ ધોવાઈ ગયો. સોમવારે રાત્રે ચીનમાં પડેલા મુશળધાર વરસાદને કારણે નેપાળમાં ભોટેકોશી નદીમાં પૂર આવ્યું. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના ડિરેક્ટર જનરલ દિનેશ ભટ્ટે પત્રકારોને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી નવ લોકોનાં મોત થયા છે, એક વ્યક્તિ ઘાયલ થયો છે, 19 ગુમ છે અને 57 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.”
નેપાળ સરકાર વળતર આપશે
નેપાળ સરકારે પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ગુમ થયેલા લોકોમાં છ ચીની નાગરિકો અને ત્રણ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

ભટ્ટે જણાવ્યું હતું કે મંગળવારે કાઠમંડુથી 120 કિમી ઉત્તર-પૂર્વમાં આવેલા રાસુવા જિલ્લાના કેટલાક ભાગોમાં આવેલા અચાનક પૂરથી મિતેરી પુલ, રાસુવાગઢી હાઇડ્રોપાવર પ્લાન્ટ અને નેપાળ-ચીન સરહદ નજીક સ્થિત ‘ડ્રાય પોર્ટ’ના કેટલાક ભાગોને સંપૂર્ણપણે નુકસાન થયું હતું. મંગળવારે સવારે 3:15 વાગ્યે આવેલા પૂરમાં મિતેરી પુલ ધોવાઈ ગયો હતો.
વીજ પુરવઠો પ્રભાવિત
નદીના પૂરમાં 23 કાર્ગો કન્ટેનર, છ કાર્ગો ટ્રક અને 35 ઇલેક્ટ્રિક વાહનો પણ વહી ગયા હતા. પૂરને કારણે જિલ્લામાં ચાર હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન થયું હતું, જેના કારણે રાષ્ટ્રીય પાવર ગ્રીડને ઓછામાં ઓછા 211 મેગાવોટ વીજળીનો પુરવઠો પ્રભાવિત થયો હતો.
